હોળીનો  રંગ

આજે હોળી છે; સૌ કોઈને કોઈ રંગ લઈને એક બીજા સાથે હોળી રમવા થનગની રહ્યા છે; પણ એક વાતનો સૌને રંજ છે કે છેલ્લા પંદર વર્ષથી અમુખલભાઈ અને મીનાબેનનું ઘર હોળીનાં બે દિવસ બંધ હોય છે એમ આજે પણ ઘર અંદરથી બંધ છે. દર વર્ષની જેમ આ હોળીમાં પણ અમૂલખભાઈ અને મીનાબેને બે દિવસ ઘરમાં પુરાઈને પોતાની જાતને કેદ કરી દીધી છે; નથી હોળી રમવા આવતા કે નથી કોઈ સાથે વાત કરતા. સોસાયટીવાળા અમૂલખભાઈ અને મીનાબેનનાં ગૃહકેદનું કારણ જાણે છે એટલે તેમને કોઈ દુઃખ કે અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખે છે.તેમજ તેમના ઘર પાસે પણ કોઈ હોળી રમીને ધમાલ કરતાં નથી.

 

અમૂલખભાઈ અને મીનાબેને સોસાયટીમાં આજથી બાવીશ વર્ષ પહેલાં મકાન ખરીદ્યું હતું. મળતાવડા સ્વભાવ અને મદદ કરવાની ટેવથી સોસાયટીમાં બધાંની સાથે ળીમળી યાં તાં. વળી બંને હોળી રમવાનાં અને લોકોને હોળી રમાડવાનાં ભારે શોખીન હતા. હોળીનાં દિવસે તો તેનું ઘર સપ્તરંગોથી ભરાય જતુ અને આખી સોસાયટીનો ભોજન સમારંભ પણ તેને ત્યાંજ હોય. પંદર વર્ષ પહેલાં આવો હોળીનો તહેવાર હતો; બધા હોળી રમવામાં મશગુલ હતા ને કોઈક વાહન અમૂલખભાઈનાં પાંચવર્ષના નિરવને ઠોકર મારી જતુ રહ્યું; માથામાં અને શરીર પર ઠેકઠેકાણે ખૂબજ ઈજાઓ થઇ હતી.તુરતજ હોસ્પિટલ લઈ ગયા પણ વિધિનો ક્રૂર પંજો ફરી વળ્યો; નિરવને બચાવી શકાયો. ત્યારથી અમૂલખભાઈ અને મીનાબેન હોળીનાં બે દિવસ પોતાની જાતને ઘરમાં કેદ કરી દેતા હતા અને લોકોથી સમાજથી અલિપ્ત થઇ પોતાના દુઃખને બંને સહન કરી લેતા હતા.

 

સોસાયટીમાં એક યુવાન ચાર મહિનાથી રહેવા આવ્યો હતો. નામ પણ નિરવ હતું. તેણે જોયું કે અમુલખકાકા અને કાકી ક્યાંય બહુ ભળતા નથી કામથી કામ રાખે છે. નિરવને અમુલખકાકામાં રસ પડ્યો; તેણે માહિતી મેળવી અને સમજી ગયો કે કાકા તેના મૃતપુત્ર નિરવનાં શોકમાંથી હજી બહાર આવ્યા નથી, બાકી માહિતી મળી પ્રમાણે માણસ ઉમદા છે.

 

નિરવે વિચાર્યું હું અનાથ છું અને અનાથાશ્રમમાં મોટો થયો છું. મારી ઉપર ક્યાં માબાપની છત્રછાયા છે. નિરવે મનમાં એક સંકલ્પ કર્યો કે હોળીમાં અમુલખ કાકા અને કાકીનું પુત્રવિયોગનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરીશ.નિરવના મનમાં પ્રશ્ન ઉભો થયો કે મારા નિર્ણયથી કાકાકાકીના મનને ઠેશ તો નહી પહોચે ને? વળી મનમાં પ્રશ્ન થયો પ્રયત્ન કરવામાં શું વાંધો છે, હું કાકાકાકીનું મન ન દુભાય તેનું પુરતું ધ્યાન રાખીશ અને કાકાકાકી મારી વાત પર ધ્યાન આપે તેવી વંદન કરીને વિનંતી કરીશ. મને ઈશ્વરે જ આ તક આપી છે મારે ખરા મનથી પ્રયત્ન કરવો જોઈએ.અંતે નિરવે પોતાનો નિર્ણય અમલમાં મુકવાનું નક્કી કરી અમુલખભાઈ ઘરે ગયો.

 

કાકા, બારણું ખોલો.”

 

કોણ છે?”

 

હું, નિરવ.”

 

અમૂલખભાઈ મીનાબેન સામે જોયું. બંને નિરવ નામ સાંભળી ચમકી ગયા.આ પહેલાં આવો અનુભવ ક્યારેય થયો નહોતો. અમે નામ તો બરોબર સાંભળ્યું છેને;નિરવ, નિરવ અહીયા ક્યાંથી હોય? નિરવને તો મૃત્યુ પામ્યા પંદર વર્ષ થઈ ગયા.અમને નિરવના નામનો ભાસ થયો છે.અમુલખભાઈ એ  બારણું ન ખોલ્યું.

 

ફરીથી બારણું ખખડયું, “કાકા હું નિરવ છું અને તમારી સોસાયટીમાં રહું છું.”

 

અમે હોળીના બે દિવસ બહાર નથી નીકળતા; તારે અમારું શું કામ છે?કોઈ કામ હોય તો બે દિવસ પછી આવજે.

 

કાકા બારણું ખોલો તો ખરા; હું તમને કોઈ તકલીફ કે મુશ્કેલી ઉભી નહીં કરું; ફક્ત પાંચ મિનિટ માટે તમારું બારણું ખોલો મારે તમારા દર્શન કરવા છે.

 

અમૂલખભાઈએ ભારે હૃદયે બારણું ખોલ્યું; નિરવ હાથમાં લાલરંગ લઈને ઉભો હતો. અમૂલખભાઈના ચહેરા ઉપર ગુસ્સો આવી ગયો, બારણું બંધ કરવા હાથ લંબાવ્યો..

 

કાકા મારી એક વાત સાંભળો; પછી તમે યોગ્ય લાગે તો મને ધક્કો મારી બારણું બંધ કરી દેજો; હું ચાલ્યો જઈશ.

 

કાકા હું અનાથ  છું, અનાથાશ્રમમાં મોટો થયો છું. મારા માતાપિતા કોણ છે? મને ખબર નથી. અનાથાલયે મને ઉછેરી ભણાવી ગણાવી મોટો કર્યો છે. મને સારી કંપનીમાં જોબ પણ મળી ગઈ છે; પગાર પણ સારો છે. હું અનાથાશ્રમનું ઋણ ભુલ્યો નથી. શહેરમાં જોબ મળવાથી ચારમહિના પહેલાં સોસાયટીમાં રહેવા આવ્યો છું. મેં તમારી વિશે વાત જાણી. મારા મનમાં વિચાર આવ્યો કે અમુલખકાકાને તેના દીકરા નિરવનાં મૃત્યુનું દુઃખ છે; મારે માતાપિતાની છત્ર છાયા નથી. હું અમુલખકાકાનાં નિરવને પાછો તો લાવી શકું પણ નિરવ બની માતાપિતાની છત્રછાયા તો મેળવી શકું. વિનંતી લઈ તમારી પાસે આવ્યો છું આ બાબતે તમને જે યોગ્ય લાગે તે કહો; હું આજ પછી તમારી પાસે વિનંતી લઈને ક્યારેય નહી આવું.”નિરવની આંખમાં ઝળઝળીયા આવી ગયા.

 

નિરવે કહ્યું,”કાકા મારા હાથમાં લાલ રંગ છે. લાલરંગ ગુસ્સાનું પ્રતીક છે સાથે સાથે પ્રેમ અને શુભદાનું પણ પ્રતિ છે. મેં મારી વાત આપણે જણાવી દીધી. હું નિર્ણય આપની ઉપર છોડું છું.તમારો જે કંઈ નિર્ણય હશે એ મને માન્ય છે.”

 

અમૂલખભાઈ અને મીનાબેનની આંખો ચોધાર આસુથી વહી રહી હતી. નિરવના હાથના ખોબામાં રહેલા લાલરંગમાં આસું ભળી રહ્યા હતા. અમૂલખભાઈએ પોતાના આસું અને લાલરંગ મેળવી જમણા હાથના અંગુઠાથી નિરવના કપાળમાં તિલક કર્યું. મીનાબેને પણ તિલક કરી દુઃખણા લીધા. નિરવે બંનેનાં ગાલ પર હળવેથી આંગળાંથી લાલરંગ લગાડી પગે લાગી કહ્યું, આજથી હું આપ બંનેને મારા માતાપિતાનું સ્થાન આપું છું અને સદાય તમારી સાથે રહીશ એવું વચન આપું છું.

 

સોસાયટીનાં બધાં લોકો અમુખલભાઈને ઘરે એકઠા થઈ ગયા હતા; બનતા બનાવનાં સાક્ષી બનીને ઉભા હતા. બધાંની આંખમાંથી ખુશીનાં  આસુંઓ વહી રહ્યાં તાં.

 

અમૂલખભાઈ, મીનાબેન અને નિરવ બહાર આવ્યા. બધાં ત્રણેયને હર્ષનાદ અને તાળીઓથી વધાવી લીધા.

 

અમુલખભાઈએ કહ્યું,”આજે મને મારો નિરવ પાછો મળી ગયો છે; આજે પહેલાંની જેવીજ હોળીનું આયોજન કરો; વિવિધ રંગોને ગુલાલ ઉડાડો; રંગની છોળોથી સોસાયટીને રંગી નાખો; અને ભોજન સમારંભનું આયોજન પણ  અહીજ કરો પહેલાં જેવો ઉત્સવ મનાવો.આજે અમે બહુજ ખુશ છીએ.તમને બધાંને અમારી ખુશીમાં ભાગીદાર થવાનું આમંત્રણ આપું છું.”

 

આખી સોસાયટી હિલોળે ચડી ગઈ, અમૂલખભાઈ, મીનાબેન અને નિરવની ખુશીમાં સામેલ થઈ સપ્ત રંગે રંગાઈ ગઈ.

 

નરેન્દ્ર ત્રિવેદી (ભાવનગર-ગુજરાત)

Nkt7848@gmail.com

9429234243

Leave a comment